મુક્ત તે થાય છે જે આપીને જાય છે.
મુક્ત તે થાય છે જે આપીને જાય છે . આપણી મુક્તિ આપણી અંદર પડેલી છે. મુક્ત થવા માટે આપણે બહાર ફાંફા મારવાની જરૂર નથી. દરેક માણસની અંતિમ ખોજ આ મુક્તિની ખોજ હોય છે. માણસ મુક્તિનો ઉપાસક છે. પરંતુ આપણાંમાંથી બહુ ઓછાં એ જાણી શકે છે કે, મુક્તિ એટલે શું? જન્મથી માંડીને જીવનના છેલ્લાં શ્વાસ સુધી આપણે કશાક ને કોઈકમાંથી મુક્ત થવા તલપાપડ હોઈએ છીએ. ક્યારેક આપણે કોહવાઈ ગયેલાં સંબંધોમાંથી મુક્તિ ઝંખીએ છીએ તો ક્યારેક ના-છૂટકે કરવાં પડતાં કામોમાંથી મુક્તિ માટે ફાંફાં મારીએ છીએ. જીવનના અંત લગ ક્યાંયે એક ઠેકાણે આપણું મન ઠરતું નથી. જેવું કશું, કાંઈ મળે છે કે બીજા નવાની, અજ્ઞાત પ્રાપ્તવ્યની ઝંખના ઊભી થઈ જાય છે. શું તમને લાગે છે કે જીવનની છેલ્લી ક્ષણે તમે બધાં સંબંધો, વૃત્તિઓ, ઈચ્છાઓ ને વિકારોમાંથી મુક્ત થઈને મરશો? તમારાંમાંથી ઘણાં કહેશે : 'મુક્ત થવું જ શા માટે?' બંધાઈ રહેવાનો પણ એક આનંદ હોય છે. આ જુઓને આપણે આપણી મોંઘીદાટ ગાડીઓ, મોંઘા મકાનો અને ધર્મની દીવાલોમાં કેવાં આરક્ષિત છીએ. વાત તો સાચી છે. કોઈને કોઈ વૃત્તિ, વ્યક્તિ કે વિકારમાં આપણું ચિત્ત સંડોવાશે નહીં તો આપણાં કોહવાઈ જવા...